રવિવાર, 19 મે, 2013

મકર સંક્રાંતિ

-મકર સંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે.


ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાન્તિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે કારણકે આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. 

-પરંપરા અને અનુષ્ઠાનો

મકર સંક્રાતિએ જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા, આદર કરવાનો પણ તહેવાર છે. જીવનનાં લક્ષ્યો પુરા કરવાની ઇચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે. મકર સંક્રાન્તિનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો, જુનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે. ભારતનાં અન્ય પ્રાંતોમાં આજનાં દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે.મકર સંક્રાન્તિનાં પછીનાં દિવસે પશુ-પ્રાણીઓ,ખાસતો ગાયને પણ યાદ કરાય છે.નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે.આ દિવસે યાત્રા-પ્રવાસ કરવો અનુચિત મનાય છે,કારણકે આ દિવસ કુટુંબ-પરિવારનાં મિલન અને પરિવાર માટે સમર્પણનો છે.આ દિવસે ગુરુજનો પોતાનાં શિષ્યોને આશિષ આપે છે



-ઉજવણી- આનંદ અને પતંગનો તહેવાર

ઉત્તરાયણ પતંગ ઉત્તરાયણ શબ્દ,બે સંસ્કૃત શબ્દ ઉત્તર(ઉત્તર દિશા) અને અયન(તરફની ગતી) ની સંધી વડે બનેલ છે. ઉત્તરાયણ (મકર સંક્રાન્તિ) એ દિવસ છે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસે છે, અને આ ઉનાળો શરૂ થવાનો સંકેત છે. તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી પોતાના ઘરની અગાશીઓ પર ચઢી જાય છે. આ સુંદર દિવસે લાખો લોકો છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ "કાપ્યો છે!" "એ કાટ્ટા!" "લપેટ લપેટ" જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી(તલ અને ગોળ માંથી બનાવેલી વાનગી) અને 'ચિકી' (એક મિઠાઇ) ખુબ ખાય અને ખવડાવે છે. ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમાં ઉતરાયણ એ બધા લોકો માટે મહત્વનાં તહેવારોમાંનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને 'ફાનસ'(કાગળનો દિવો) ઉડાડે છે જેને અમદાવાદમાં 'ટુક્કલ' તરિકે ઓળખવામાં આવે છે. ઉતરાયણનો બીજો દિવસ (૧૫ જાન્યુઆરી) 'વાસી ઉત્તરાયણ' તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે.



સંક્રાંતિ સમયે આપવાના દાન

ગાયને ધાસચારો આપવો, દુઃખીજનોને દાન, ભોજન આપવું. પરંતુ દાન આપવા માટે સાત્વિક અને વિદ્વાન બ્રામ્હણને દાન આપવું. પોતાની શક્તિ અનુસાર તલ, સોનું, ભૂમિ, વસ્ત્ર, પાત્ર વગેરેનું દાન કરવું. દાન આપવાથી કરેલા પાપોનો નાશ થાય છે. તલની સુખડી, તલનો હલવો, તલ નાખી જળ પીવું. તલના પાણીથી મહેદવજીનો અભિષેક કરવો. તલનું દાન કરવું, તલના લાડુમાં સૂવર્ણ-ચાંદીના સિક્કા મુકી ગુપ્ત દાન કરવાથી પૂણ્ય મળે છે. સંત સાધુને વસ્ત્ર દાન તથા અન્ન દાન કરવું, ગરમ વસ્ત્રનું દાન કરવાથી પૂણ્ય પ્રાપ્ત થાય છે તથા રોગોનો નાશ થાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો